Thursday, September 6, 2012

રેજ ઓફ એન્જલ્સ : સિડની શેલ્ડન

જેનીફર પાર્કર સુંદર યુવતી છે અને કાયદાશાસ્ત્રનો અભ્યાસ પૂરો કરીને મેનહટન ડીસ્ટ્રીકટ એટર્ની રોબર્ટ ડીસિલ્વા સાથે આસીસ્ટંટ ડીસ્ટ્રીકટ એટર્ની તરીકે જોડાય છે. નોકરીના પહેલા જ દિવસે તે માફિયા ડોન માયકલ મોરેટ્ટી વિરુદ્ધના મુખ્ય સાક્ષીને મરેલું કેનેરી પક્ષી પહોચાડવામાં અજાણતા નિમિત બની જાય છે. ડરી ગયેલો સાક્ષી જુબાની આપવાની ના પાડી દેતા રોબર્ટ ડીસિલ્વા કેસ હારી જાય છે. ગુસ્સે થયેલો રોબર્ટ ડીસિલ્વા આ માટે જેનીફરને કસુરવાર માની તેને બરતરફ કરે છે અને તેની કારકિર્દી ખતમ કરી નાખવાની ધમકી આપે છે. જેનીફરે માયકલ મોરેટ્ટી પાસેથી લાંચ લીધી છે તે પુરવાર કરવા રોબર્ટ ડીસિલ્વાના પ્રયત્નથી જેનીફર વિરુદ્ધ તપાસ શરુ થાય છે. યુવાન વકીલ આદમ વોર્નર જેનીફરની પૂછપરછ કરવા જાય છે. જેનીફર સાથેની વાતચીત પછી આદમ તેને નિર્દોષ જાહેર કરે છે. આદમ વોર્નરની મદદથી અને પોતાની કાબેલિયતથી જેનીફર કાયદાના ક્ષેત્રમા આગળ વધતી જાય છે. જેનીફર એક અજેય વકીલ તરીકે ઉભરતી જાય છે. જેનીફરની સફળતાથી પ્રભાવિત થયેલો માયકલ મોરેટ્ટી ઈચ્છે છે કે જેનીફર તેના માટે કામ કરે.

પરણેલો હોવા છતાં આદમ વોર્નર, જેનીફર સાથે પ્રેમમાં પડી જાય છે, જેનીફર તેના પ્રેમનો સ્વીકાર કરે છે. બંને અવારનવાર મળતા રહે છે અને શક્ય તેટલો સમય સાથે વીતાવે છે. સમય જતા આદમને સેનેટની ચુંટણી લડવાનો મોકો મળે છે, જેના દ્વારા આગળ જતા વ્હાઈટ હાઉસ પહોચવાની શક્યતા રહેલી હોય છે. આદમ જેનીફરને કહે છે કે તે તેની પત્ની મેરી બેથ સાથે છૂટાછેડા લેવા ઈચ્છે છે. જેનીફર અને મેરી બેથ મળે છે અને નક્કી કરે છે કે સેનેટની ચુંટણી નજીક હોવાથી, ચુંટણી પૂરી થાય પછી છૂટાછેડા લેવા. મેરી બેથ આદમને ફરીથી પામવા માટે ચાલ ચાલે છે અને આદમને છેલ્લી વાર સહશયન કરવા મનાવી લે છે, જેના પરિણામે મેરી બેથ ગર્ભવતી બને છે. આદમ સેનેટની ચુંટણી જીતી જાય છે અને તેનું આગળનું લક્ષ્ય વ્હાઈટ હાઉસ હોય છે. ગર્ભવતી પત્નીને છૂટાછેડા આપવાથી તેની કારકિર્દી પર વિપરીત અસર થઇ શકવાની બીકે આદમ છુટાછેડા ન લેવાનું નક્કી કરે છે. જેનીફરને મળીને આદમ કહે છે કે તેને સાચો પ્રેમ કરતો હોવા છતાં તે જેનીફર સાથેનો સંબંધ આગળ વધારી શકે તેમ નથી અને બંને છુટા પડે છે. જેનીફર આદમ સાથેના સંબંધથી ગર્ભવતી બની હોય છે પણ આદમને આ વાત કહેતી નથી.

જેનીફર પુત્રને જન્મ આપે છે જેનું નામ જોશુઆ રાખે છે. પુત્ર હોવાની વાત તે બધાથી છુપાવી રાખે છે. માત્ર તેનો ખાસ મિત્ર કેન બેલી જ આ વિષે જાણતો હોય છે. પુત્ર થોડો મોટો થતા તેના માટે આયાની વ્યવસ્થા કરી જેનીફર ફરી વકીલાત શરુ કરે છે અને ટૂંક સમયમાં જ સફળ વકીલ તરીકે નામના મેળવી લે છે. દરમિયાન માયકલ મોરેટ્ટી જેનીફરને પોતાના લોયર તરીકે કામ કરવા સમજાવવાના બહુ પ્રયાસો કરે છે પણ જેનીફર મક્કમતાથી ના પાડી દે છે. પરંતુ એક બનાવ એવો બને છે જેથી જેનીફર મોરેટ્ટીના અહેસાન નીચે આવી જાય છે. જેનીફરનો એક ક્રિમીનલ અસીલ જેનીફર સાથે બદલો લેવા જોશુઆનું અપહરણ કરે છે. લાચાર જેનીફર માયકલ મોરેટ્ટીની મદદ માંગે છે. માયકલ તેના પુત્રને પાછો મેળવી આપે છે. અને પછી જેનીફર માયકલ મોરેટ્ટી સાથે કામ કરવા તૈયાર થઇ જાય છે. બંને વચ્ચે પ્રેમ સંબંધ રચાય છે.

આદમ સાથે વર્ષો પછી યોગાનુયોગ જેનીફરની મુલાકાત થાય છે, જે માયકલ મોરેટ્ટીનો એક માણસ જોઇ જાય છે. પણ આદમને તે ઓળખતો ન હોવાથી મોરેટ્ટીને કઇ કહેતો નથી.

દરિયામાં સર્ફિંગ દરમિયાન ઈજા થતા જોશુઆ મૃત્યુ પામે છે. જેનીફરને આ આઘાતમાંથી બહાર આવતા બહુ સમય લાગે છે, પણ મોરેટ્ટીના સથવારાથી તે ધીમે ધીમે સ્વસ્થ થાય છે અને ફરી કામ શરુ કરે છે. કામ માટે જેનીફર વિદેશ જાય છે. આ તરફ રોબર્ટ ડીસિલ્વા માયકલ મોરેટ્ટીને પકડવા પ્રયત્નો શરુ કરે છે. આદમનો પણ તેને સહયોગ પ્રાપ્ત થાય છે. પૂરતા પુરાવા એકઠા થતા માયકલ મોરેટ્ટી અને જેનીફરની ધરપકડની પ્રક્રિયા શરુ થાય છે. મોરેટ્ટીને તેના માણસ દ્વારા જેનીફર અને આદમના સંબંધની જાણ થાય છે. વિદેશથી પછી ફરેલી જેનીફર પર ગુસ્સે થયેલો મોરેટ્ટી તેને દગાબાજ માની લે છે અને તેને લાગે છે કે જેનીફર આદમ સાથે મળીને તેને પકડવાનું ષડયંત્ર રચી રહી છે. તેમના વચ્ચે ઉગ્ર વાતચીત ચાલતી હોય છે તે દરમિયાન જ ફેડરલ એજન્ટો તેમના રૂમમાં પ્રવેશે અને મોરેટ્ટી જેનીફર ઉપર ગોળી ચલાવે છે. પોલીસ મોરેટ્ટીને ગોળીઓથી વીંધી નાખે છે.

ગંભીર રીતે ઘાયલ જેનીફરને આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવે છે. આદમ તેને જોવા હોસ્પિટલ જાય છે. જેનીફરને ચાહતો હોવા છતાં અમેરિકાનો પ્રમુખ બનવા જઇ રહ્યો હોવાથી તેના માટે કઇ કરી શકે તેમ નથી. સારવારને અંતે જેનીફર બચી જાય છે.

આદમ અમેરિકાનો પ્રમુખ બને છે અને જેનીફર ફરી એક વાર સર્વસ્વ ગુમાવીને ફરીથી નવી શરૂઆત કરવા તરફ આગળ વધે છે.

આખી વાર્તા એક થ્રીલર છે. વાર્તામાં આવતા કોર્ટ રૂમ ડ્રામા સરસ રીતે લખાયા છે. વાર્તાનો અંત એકદમ કરુણ છે.


Saturday, September 1, 2012

સોનેરી ધૂમકેતુનો પીછો - જુલે વર્ન (અનુવાદ હરિશ નાયક)

વાર્તા એક સાયન્સ ફ્રીક્સન છે. અમેરિકાના વર્જિનિયા પ્રદેશમાં વ્હેસ્ટન નગર આવેલું છે, જેમાં બે ખગોળશાસ્ત્રીઓ - ડીન ફોરસીથ અને ડો. સિડની હડલ્સન - રહે છે. બંને આમ તો મિત્રો હોય છે પણ શોધ-સંશોધનની વાત હોય તો કટ્ટર હરીફ બની જાય છે.

એક દિવસ એક ધૂમકેતુ આકાશમાંથી પસાર થાય છે, જેને બંને ખગોળશાસ્ત્રી પોતાના ટેલીસ્કોપમાંથી જુએ છે અને તે ધૂમકેતુને પ્રથમ વાર જોનાર વ્યક્તિ પોતે હોવાનો દાવો કરે છે. નવા ધૂમકેતુની શોધના લીધે બંને ખગોળશાસ્ત્રી પ્રખ્યાત થઇ જાય છે અને લોકોમાં ખુબ સન્માન પામે છે. તેમ છતાં બંને એક બીજા તરફ તો તુચ્છકારથી જ જુવે છે. ત્યારબાદ કુશળ ખગોળશાસ્ત્રીઓ દ્વારા ફોરસીથ-હડલ્સન ધૂમકેતુનો આધુનિક સાધનો દ્વારા વધુ અભ્યાસ થાય છે અને જાણવા મળે છે કે ધૂમકેતુ સોનાનો બનેલો છે અને પૃથ્વીની આસપાસ નિયમિત કક્ષામાં પ્રદક્ષિણા કરે છે. સોનાનો ધૂમકેતુ પૃથ્વીની પ્રદક્ષિણા કરતો હોવાની વાતથી આખી દુનિયામાં ઉત્તેજના ફેલાઇ જાય છે.

ફોરસીથના ભાણીયા ફ્રાન્સીસના લગ્ન, હડલ્સનની પુત્રી જેની સાથે નક્કી થયા હોય છે, પણ બંને ખગોળશાસ્ત્રીમાં દુશ્મની ઉભી થતા લગ્ન મોકૂફ થઇ જાય છે.

ઝેફરીન ઝીરદાલ એક ધૂની વૈજ્ઞાનિક છે જે તેને રસ પડે તે દરેક ક્ષેત્રમાં સંશોધન કરતો રહે છે અને અવનવી શોધો કર્યા કરતો હોય છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરતા ધૂમકેતુ વિષે જાણીને તેના ધૂની મનમાં વિચાર આવે છે કે ધૂમકેતુને ધરતી ઉપર ઉતારવો જોઈએ.

ધૂમકેતુ વિશે ચોકસાઈથી અભ્યાસ કરીને તે ધૂમકેતુની ગતિ, દિશા, દળ વગેરેની માહિતી મેળવી લે છે. ત્યારબાદ પોતે બનાવેલા એક સાધન (જે કિરણો ફેકીને ઉર્જાને કેન્દ્રિત કરી તેની પાસેથી ધાર્યું કામ કરાવી શકે છે) દ્વારા ધૂમકેતુ ઉપર કિરણો ફેકીને તેની શું અસર પડે છે તે તપાસવાનું શરુ કરે છે. અને સાધન ચાલુ રાખીને પોતાના પ્રયોગમાં જરૂરી બીજી વસ્તુઓ લેવા બજારમાં જાય છે, જ્યાં તેનો એક મિત્ર મળી જાય છે જેની સાથે ફરવા જતો રહે છે. ભૂલકણા સ્વભાવને લીધે ભૂલી જાય છે કે તે કોઈ પ્રયોગ કરી રહ્યો હોય છે. તેનું સાધન ધૂમકેતુ ઉપર અસર કરવા માંડે છે અને ધૂમકેતુ અનિયમિત રીતે ફરવા લાગે છે. ખગોળશાસ્ત્રીઓ આગાહી કરે છે કે ધૂમકેતુ પૃથ્વી પર પાડવાનો છે પણ ક્યાં અને ક્યારે એ કહી ના શકાય તેવી અનિયમિત ગતિ અને ભ્રમણકક્ષામાં ધૂમકેતુ ફરી રહ્યો છે.

ફરવા ગયેલા ઝીરદાલને સાધનની વાત યાદ આવતા તે પાછો આવે છે અને સાધનની ધૂમકેતુ પર થયેલી અસરથી ખુશ થઇ જાય છે. તેના સાધનથી ધૂમકેતુની ગતિ અને દિશામાં ફેરફાર કરી શકાય છે તે સાબિત થઇ જાય છે. ઝીરદાલ પોતાના બેન્કર કાકા રોબર્ટ લસરને કહે છે કે તે પૃથ્વીના કોઈ એવા હિસ્સામાં જમીન લેવા માંગે છે જ્યાં જમીન એકદમ સસ્તી હોય અને ત્યારબાદ સોનેરી ધૂમકેતુને તે જમીન ઉપર પાડવા માંગે છે. ભત્રીજાની કાબેલિયતથી માહિતગાર કાકા તેના પર વિશ્વાસ મૂકી તે માટે મદદ કરવા તૈયાર થઇ જાય છે અને ગ્રીનલેન્ડના ઉપરનવિક ટાપુ પર એક મોટો ટુકડો જમીન ખરીદે લે છે. આ જ જમીન પર નિશ્ચિત સમયે ધૂમકેતુ પડી શકે તે રીતની તેની ગતિ અને દિશા નિર્ધારિત કરવા ઝીરદાલ પોતાના સાધનની મદદથી ધૂમકેતુ પર કિરણો ફેકે છે. ધૂમકેતુ પડવાનો સમય નજીક આવતા ઝીરદાલ અને તેના કાકા ગ્રીનલેન્ડ જવા નીકળી જાય છે.

ગ્રીનલેન્ડના ઉપરનવિક ટાપુ પર ધૂમકેતુ પડવાનો છે એવા સમાચાર સમગ્ર વિશ્વમાં ફરી વળતા ઠેર ઠેરથી લોકો ગ્રીનલેન્ડ તરફ આવવા લાગે છે, જેમાં ધૂમકેતુને પ્રથમવાર જોનાર ખગોળશાસ્ત્રી ફોરસીથ અને હડલસન તથા ફ્રાન્સીસ અને જેની પણ સામેલ હોય છે.

સોનાનો ધૂમકેતુ ધરતી પર આવી રહ્યો હોવાથી ગોલ્ડ માઇનના શેરો તળિયે બેસી જાય છે.

ધૂમકેતુ ઝીરદાલની જમીન પર જ દરિયા કિનારાની નજીકની એક ટેકરી પર પડે છે. ધૂમકેતુને જોવા લોકોના ટોળાં ભેગા થવા માંડે છે. ઝીરદાલની અંગત માલિકીની જમીનની પણ લોકો અને સ્થાનિક વહીવટી અમલદાર દરકાર નથી કરતા. ધીરે ધીરે દુનિયાના બીજા દેશોના સૈનિકો પણ ધૂમકેતુની ફરતે ગોઠવતા જાય છે.

ધૂમકેતુ માટે લડતા લોકોને જોઇને ઝીરદાલ દુખી અને ગુસ્સે થઇ જાય છે. વળી તેને એ પણ ખબર પડે છે કે ધૂમકેતુને પ્રથમવાર જોનાર ખગોળશાસ્ત્રીઓના સંતાનો એક બીજાને પ્રેમ કરતા હોવા છતાં આ ધૂમકેતુને લીધે જ પરણી નથી શકતા. આથી ઝીરદાલ ઈચ્છે છે કે ધૂમકેતુને જ દરિયામાં પધરાવી દેવો જોઈએ. વેપારી માનસિકતા ધરાવતા ઝીરદાલના કાકાને ઝીરદાલની આ ઈચ્છાની ખબર પડતા જ તેઓ તળિયે ગયેલા ગોલ્ડ માઇનના જેટલા મળે તેટલા શેર ખરીદી લે છે. દરમ્યાન ઝીરદાલ પોતાના સાધનની મદદથી ધૂમકેતુ પર એ રીતના કિરણો ફેકે છે કે જેથી ધૂમકેતુ વિચલિત થઇ દરિયા તરફ ગબડી પડે છે અને દરિયામાં ઊંડે ડૂબી જાય છે. ધૂમકેતુ જ ન રહેતા ખગોળશાસ્ત્રીઓ ફરીથી મિત્રો બની જાય છે. ઝીરદાલના કાકા લસર ગોલ્ડ માઇનના શેરોના લીધે ધનવાન બની જાય છે. ફ્રાન્સીસ અને જેની પરણી જાય છે અને ઝીરદાલ ફરી પોતાની ધૂની દુનિયામાં ખોવાઈ જાય છે.

પ્રાચીન કાળથી પૃથ્વી પર ઉલ્કાઓ પડ્યા કરે છે અને ઘણી જગ્યાએ તેને ઈશ્વરીય કે સ્વર્ગીય પદાર્થ માનીને લોકો પૂજતા આવ્યા છે. આ તરફ નિર્દેશ કરતા લેખકે લખ્યું છે કે - "ખ્રિસ્તી યુગ પહેલા પણ આવા ગોળાઓ બ્રમ્હાંડની અજાણી દિશામાંથી પૃથ્વી પર ઝીંકાયા છે. ત્યારે તેમને સળગતા દોડતા પૂછડિયા પથ્થરો તરીકે જ ઓળખવામાં જ આવતા. ગેલેટીયાના સાયબેલમાં પડેલા આવા બળબળતા ગોળાનો ઉલ્લેખ છે, જેને પાછળથી રોમ અને સીરિયા લઇ જવામાં આવ્યા હતા. એ  ઈશ્વરીય ચિહ્નો પછી તો 'સૂર્ય' સ્વરૂપે જ પૂજાતા રહ્યા. મક્કામાં જે કાળા પથ્થરની પૂજા થાય છે એ પવિત્ર પથ્થર પણ ન્યુમાના શાસનકાળ દરમિયાન પૃથ્વીને ભેટ મળેલ  ઈશ્વરીય પદાર્થ જ મનાય છે ને ! અંથમારની તલવાર આવી અવકાશી ભેટનું જ એક વક્રાકાર રૂપ હશે !"

('The Chase of the Golden Meteor'નો અનુવાદ 'સોનેરી ધૂમકેતુનો પીછો'ના નામે થયો છે. ખરેખર તો Meteror એટલે ઉલ્કા કહેવું વધારે યોગ્ય છે.)