Thursday, August 30, 2012

પેડલ પર પૃથ્વી પરકમ્મા : મહેન્દ્ર દેસાઈ 

ઈ.સ.૧૯૨૩ મુંબઈમાં રહેતા ૩ પારસી યુવાનોએ સાયકલ પર પૃથ્વીની પ્રદક્ષિણા કરેલી, એ સત્ય ઘટનાનું વર્ણન કરતુ પુસ્તક એટલે 'પેડલ પર પૃથ્વી પરકમ્મા'. મુંબઈમાં રહેતા છ પારસી યુવાનો - જાલ બાપાસોલા, અદિ હકીમ, રૂસ્તમ ભમગરા, ગુસ્તાદ હાથીરામ, નરીમાન કાપડિયા અને કેકી પોચખાનવાલા નક્કી કરે છે કે આપણે ભારતનું નામ દુનિયામાં રોશન કરવું. તે માટે છયે જણા સાયકલ દ્વારા દુનિયાની પ્રદક્ષિણા કરવાનું નક્કી કરે છે અને ૧૫ ઓક્ટોબર, ૧૯૨૩ની સવારે નીકળી પડે છે. મુંબઈથી દિલ્હી, પંજાબ, બલુચિસ્તાન થઈને ડૂકી પાસ ઓળંગી ૨૦ જાન્યુઆરી, ૧૯૨૪ ના રોજ બ્રિટીશ ભારતની છેલ્લી ચોકી વરેછા પહોચે છે. પારસી ધર્મની માતૃભૂમિ ઈરાન પસાર કરતા તેઓ તેહરાન પહોચે છે. જરાથ્રુસ્થના શહેર યઝદમાં નવરોજ ઉજવે છે. નરીમાન કાપડિયા તેહરાનથી પાછો વળી જાય છે. બાકીના બગદાદ તરફ આગળ વધે છે. બગદાદથી અલેપ્પો વચ્ચેનું મેસ્પોટનું રણ ૨૩ દિવસમાં ઓળંગી એક વિક્રમ નોંધાવે છે. મેસ્પોટના રણમાં તેમને રેતીના સરકતા ઢુવા, ઉચું તાપમાન, સેન્ડ ફ્લાય ફીવર વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પણ બેદુઇન લોકોની મદદથી રણ પાર કરી જાય છે.

દમાસ્કસ પહોચતા તેમને વચ્ચે મતભેદ ઉભા થાય છે અને તેઓ બે અલગ જુથમાં વહેચાઈને આગળ વધે છે. ગુસ્તાદ, અદિ અને કેકી એક જુથમાં તથા જાલ અને રૂસ્તમ બીજા જુથમાં. અલગ અલગ જુથમાં પ્રવાસ કરતા તેઓ જેરુસલેમ, કેરો થઈ એલેક્ઝાન્દ્રિયા પહોચે છે. જ્યાંથી સ્ટીમર દ્વારા ઇટલીના બ્રીન્દ્સી બંદરે પહોચે છે. ત્યાંથી રોમ થઇ બરફના તોફાન વચ્ચે આલ્પ્સ ઓળંગે છે. યુરોપ પસાર કરતા કરતા લંડન પહોચે છે અને ત્યાંથી ન્યુયોર્ક સ્ટીમરમાં પહોચે છે.

માર્ગમાં આવતા ઘણા શહેરો અને ગામોમાં તેમને મિશ્ર પ્રતિસાદો મળે છે. ક્યાંક બહુ પ્રસિદ્ધિ પણ મળે છે. સફર દરમ્યાન થતા ખર્ચને પહોચી વળવા પોતાની સફર દરમ્યાન પાડેલા ફોટોના કાર્ડ વેચે છે અથવા અંગ-કસરતના દાવોનું પ્રદર્શન કરે છે. ઘણી જગ્યાએ સ્થાનિકોનો ખુબ સહયોગ મળે છે અને ઘણી જગ્યાએ ભારતીય લોકોના સમૂહ સન્માન કરીને નાણાંની થેલી પણ અર્પણ કરે છે. ડનલોપ કંપની આખા પ્રવાસ દરમ્યાન જ્યાં જ્યાં તેમની એજન્સી હોય ત્યાંથી તેમને જરૂર હોય ત્યારે મફત ટાયર-ટ્યુબ પુરા પડે છે. માર્ગમાં આવતા મહત્વના સ્થળોએ સ્થાનિક વહીવટદાર કે અમલદારની સહી પોતાના રજીસ્ટરમાં લેતા રહે છે જેથી યાત્રાનો ઓફિસિયલ રેકોર્ડ રાખી શકાય.

ન્યુયોર્ક પહોચીને ગુસ્તાદ નક્કી કરે છે કે અમેરિકામાં જ નોકરી શોધી સ્થાઈ થઇ જવું. અદિ અને કેકીથી તે અલગ થઇ જાય છે. દમાસ્કસથી અલગ થયેલા જાલ અને રૂસ્તમ પણ ન્યુયોર્ક પહોચે છે અને અદિ તથા કેકીને મળે છે. ચારેય ભેગા થઇ રૂસ્તમને મનાવવાની કોશિશ કરે છે પણ રૂસ્તમ તેમને મળવા જ નથી માંગતો. કેકીને સફર દરમ્યાન સમાચાર મળે છે કે તેની માં ખુબ બીમાર છે અને કેકી ને જ યાદ કર્યા કરે છે. ન્યુયોર્કથી કેકી સ્ટીમર પકડી મુંબઈ પાછો ફરે છે. બાકીના ત્રણ - અદિ, જાલ અને રૂસ્તમ - અમેરિકામાં પ્રવાસ આગળ ધપાવે છે. ૧૫ ઓક્ટોબરે 'પ્રવાસ આરંભની ત્રીજી વરસી નિમિતે' તેઓ ૧૬ કલાકમાં ૧૭૧ માઇલ કાપવાનો વિક્રમ બનાવે છે. સાનફ્રાન્સિસ્કોથી સ્ટીમરમાં જાપાન પહોચે છે. ત્યાંથી કોરિયા અને મંચુરિયા પહોચે છે. સ્થાનિકો દ્વારા વિદેશીઓ પ્રત્યેના ધિક્કારને લીધે ઘણા દિવસો ભૂખ્યા પણ રહે છે. ગોબીનું રણ પસાર કરીને (સાયકલ પર પસાર કરનાર પ્રથમ) કેન્ટોન પહોચે છે. ત્યાંથી શાંઘાઈ, હોંગકોંગ થઇ વિયેતનામ, થાઇલેન્ડની રાજધાની બેંગકોક પહોચે છે. ત્યાંથી બર્મા, ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં થઈને કલકત્તા પહોચે છે. જ્યાં માત્ર થોડા બાળકો દ્વારા જ સ્વાગત થતા નિરાશ થઇ જાય છે પણ પછી ધીરે ધીરે સમગ્ર શહેરમાં ખબર ફરી વળે છે અને જોરદાર સ્વાગત થાય છે. ત્યાંથી ઓરિસ્સા, મદ્રાસ થઇ કોલોમ્બો પહોચે છે. ત્યાંથી ૧૮ માર્ચ, ૧૯૨૮ ના રોજ મુંબઈ પહોચે છે. જ્યાં તેમનું જોરદાર સ્વાગત થાય છે અને સરઘસ રૂપે આખા શહેરમાં ઠેર ઠેર સન્માન થાય છે.

યાત્રા દરમ્યાન તેઓ ૪ વર્ષ ૫ મહિના અને ૩ દિવસમાં કુલ ૪૪૦૦૦ માઇલ જેટલું અંતર કાપે છે. અને તેમના નામે કેટલાક વિક્રમો નોંધાવે છે જેમ કે -
- સાયકલ દ્વારા વિશ્વ પ્રવાસ કરનાર પ્રથમ ભારતીય
- પ્રથમ વખત મેસ્પોટ, સીરિયા, સિનાઇનું રણ વટાવનાર
- વિશ્વ માટે અલિપ્ત, અવાવરું કોરિયા પ્રથમ વખત વીંધી નીકળનાર
- ૧૬ કલાકમાં ૧૭૧ માઇલ અંતર સાયકલ પર પ્રથમ વખત કાપનાર

વિષય ખુબ ઈન્ટરેસ્ટીંગ છે પણ પુસ્તક વિષય જેટલું મજેદાર નથી બની શક્યું. વર્ણન ઘણી જગ્યા એ અપૂરતું લાગે અને લખાણની શૈલી અસરકારક નથી અને રજૂઆત પણ ખુબ અસ્તવ્યસ્ત છે.


Monday, August 27, 2012

ધ ફાયનલ ડાયગ્નોસીસ : આર્થર હેઈલી 

બર્લીંગટન (પેન્સીલ્વેનીયા)માં આવેલી 'થ્રી કાઉન્ટીઝ' હોસ્પિટલ, સાવ નીચી કક્ષાએ પહોચેલી હોસ્પિટલ છે. વ્યવસ્થાતંત્ર નબળું અને મેડીકલ સ્ટાન્ડર્ડ નીચલા સ્તરે પહોચી ગયું છે. હોસ્પિટલ ઇન્ટર્નો અને રેસીડેન્ટનો ટ્રેઈનીંગ પ્રોગ્રામ નકામો થઇ ગયો છે. રીસર્ચ માટે કોઈ બજેટ ફાળવતું નથી.

હોસ્પિટલ બોર્ડના ઉમરલાયક, વૃદ્ધ ચેરમેનનું અવસાન થતા નવા ચેરમેન તરીકે ઓર્ડેન બ્રાઉનની નિમણુક કરવામાં આવે છે. ઓર્ડેન બ્રાઉન હોસ્પિટલનું સ્તર ઉપર લાવવા માંગે છે. તે માટે હોસ્પિટલમાં મોટા પાયે બદલાવ કરવાની જરૂર તેને લાગે છે. બોર્ડના જુના અને નિષ્ક્રિય સભ્યો દ્વારા તેને વિરોધનો સામનો પણ કરવો પડે છે. આવા જુના સભ્યોને દુર પણ કરી શકાય એમ નથી કેમ કે તેમની વસિયતમાં હોસ્પીટલના નામે મોટી રકમ લખાયેલી હોય છે, જેની હોસ્પિટલને ઘણી જરૂર હોય છે. યુસ્ટેસ સ્ટેઇન આવો જ એક ધનવાન બોર્ડ મેમ્બેર છે.

ઓર્ડેન બ્રાઉન, કેન્ટ ઓ'ડેનેલને હોસ્પિટલ મેડીકલ બોર્ડના પ્રેસિડેન્ટ અને સર્જરી વિભાગના વડા તરીકેનો હોદ્દો સ્વીકારવા ઓફર કરે છે, જેને યુવાન, ઉત્સાહી અને કાર્યદક્ષ કેન્ટ એક ચેલેન્જ તરીકે સ્વીકારી લે છે.

પછી શરુ થાય છે હોસ્પીટલના માળખામાં ધરમૂળથી ફેરફાર કરવાની પ્રક્રિયા. ધીમે ધીમે દરેક વિભાગના જુનવાણી અને બિનકાર્યક્ષમ લોકોને બદલે નવા કાર્યક્ષમ લોકો આવતા જાય છે અને હોસ્પિટલ ફરી ગુમાવેલી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરતી જાય છે.

પણ હજુ પણ એક વિભાગ એવો છે જેની કાર્યક્ષમતા પુરતી નથી અને તેની કાર્યપ્રણાલીમાં પરિવર્તનની જરૂર છે. તે વિભાગ છે પેથોલોજી. પેથોલોજી વિભાગના વડા (ડીરેક્ટર ઓફ પેથોલોજી) ડો. જોસેફ પીઅરસન જુનવાણી વિચારધારા ધરાવતા પ્રૌદ્ધ વ્યક્તિ છે અને આધુનિક ટેકનોલોજીના બદલે વર્ષો જૂની ટેકનોલોજીમાં જ વધારે વિશ્વાસ ધરાવે છે. તેમનું માનવું છે કે નવી નવી શોધ તો થતી જ રહેશે, તે બધી શોધોને આપણે અમલમાં મુકીશું તો રોજ નવા બદલાવ કરવા પડશે, અને બધી નવી શોધો ઉત્તમ જ છે એવું પણ માની શકાય એમ નથી કેમ કે બધી નવી શોધોની પૂરી રીતે ચકાસણી શક્ય પણ નથી. જો પીઅરસન વર્ષોના અનુભવી છે અને એમનું નિદાન પણ ચોક્કસ હોય છે, વળી તે બોર્ડ મેમ્બર યુસ્ટેસ સ્ટેઇનના ખાસ મિત્ર પણ છે. આથી જ તેમના વિરુદ્ધ કોઈ પગલા લેતા પહેલા ખુબ સાવધાની રાખવી જરૂરી છે. છતાં પણ હોસ્પીટલના બીજા વિભાગો તરફથી, પેથોલોજી વિભાગ દ્વારા અપાતા રીપોર્ટમાં થતા લાંબા વિલંબની ફરિયાદ અવગણી શકાય એમ નથી. કેન્ટ ઈચ્છે છે કે પેથોલોજીમાં જો પીઅરસનને એક સહાયક (આસીસ્ટંટ  પેથોલોજીસ્ટ) આપવામાં આવે જે પીઅરસનના કામને વહેચી લે, પણ પીઅરસન તેને પોતાની એકહથ્થુ સત્તામાં કાપ તરીકે જુવે છે.

જોસેફ પીઅરસન, ડીરેક્ટર ઓફ પેથોલોજી, જૂની કાર્યપદ્ધતિને છોડી ન શકતા અને આધુનિક ટેકનોલોજીને સ્વીકારી ન શકતા એક ઉમરલાયક વ્યક્તિ હોવા છતાં પોતાની ભૂલ હોય અથવા નિદાનને લગતો કોઈ સાચો અભિપ્રાય કોઈ અન્ય દ્વારા અપાય તો તે સ્વીકારવાની ખેલદિલી ધરાવતા એક અનુભવી ડોક્ટર છે. તેમનું અનુભવ આધારિત નિદાન એકદમ સચોટ હોય છે. પરંતુ બદલાતા સમય સાથે કદમ મેળવી નથી શકતા.

તેમના હાથ નીચે પેથોલોજી રેસીડેન્ટ ડો. રોજર મેકનીલ અને સર્જીકલ રેસીડેન્ટ માઇક સીડોન્સ, તેમને તેમના કાર્યમાં સહાય કરતા હોય છે. સીનીયર લેબ ટેક્નીશીયન કાર્લ બેનિસ્તર ટીપીકલ સરકારી નોકરિયાત જેવો છે. કોઈ ડીગ્રી ન ધરાવતો અને માત્ર અનુભવના લીધે આ પદ પર હોવાથી તેનું ટેકનીકલ જ્ઞાન અપૂરતું અને ઉપરછલ્લું હોય છે. પરિવર્તનના ભાગરૂપે જ્હોન એલેઝાંડરની લેબ ટેક્નીશીયન તરીકે અને ડો. ડેવિડ કોલમેનની આસીસ્ટંટ પેથોલોજીસ્ટ તરીકે નિમણુંક પછી બંને દ્વારા આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી નિદાન ઝડપી અને સચોટ બનાવવાની તરફેણ થાય છે અને જો પીઅરસન સાથે ટકરાવ પણ શરુ થાય છે.

બ્લડ ટેસ્ટને લગતી આધુનિક ટેકનોલોજીના વિરોધના લીધે લેબ ટેક્નીશીયન જ્હોન એલેઝાંડરની પત્ની એલીઝાબેથના બ્લડ ટેસ્ટમાં ગંભીર ક્ષતિ રહી જવાથી તેમના નવજાત બાળકના રોગનું સમયસર નિદાન થઇ શકતું નથી. બ્લડ ટેસ્ટ ફરીથી કરાતા તે પોઝીટીવ આવે છે અને જો પીઅરસન આ ગંભીર ભૂલ માટે જવાબદાર ઠરે છે. સામે પક્ષે હોસ્પીટલની કેન્ટીન દ્વારા દુષિત ખોરાકના લીધે ફેલાઈ રહેલા ટાઇફોઈડને કાબુમાં લેવા ટાઇફોઈડના વાહકને શોધવાની જરૂર ઉભી થાય છે. જો પીઅરસન અને તેમનો સ્ટાફ રાત દિવસ એક કરી બધા હોસ્પિટલ સ્ટાફના ટેસ્ટ કરી ટાઇફોઈડના વાહકને ગણતરીના દિવસોમાં શોધી કાઢે છે, જે તેમના પરિશ્રમનું જમા પાસું છે. નર્સ વીવીઅનના સચોટ નિદાનમાં પણ તેમનું જ યોગદાન હોય છે.

અંતે જોસેફ પીઅરસન રાજીનામું આપીને નવા આવેલા કોલમેન માટે જગ્યા કરી આપે છે અને યુસ્ટેસ સ્ટેઇનને હોસ્પિટલમાં ગરીબ વિદ્યાર્થી માટે સ્કોલરશીપ શરુ કરવા આગ્રહ કરે છે, યુસ્ટેસ સ્ટેઇન તે માટે બજેટ પૂરું પડે છે અને તે સ્કોલરશીપ સાથે જોસેફ પીઅરસનનું નામ જોડવાનું સુચન કરે છે, જેને કેન્ટ સહર્ષ સ્વીકારી લે છે.

આખી વાર્તા એક હોસ્પિટલ પોલીટીક્સ છે જેમાં કેન્દ્ર સ્થાને પેથોલોજી વિભાગ છે. પેથોલોજી એક એવો વિભાગ છે જે દર્દીના પ્રત્યક્ષ સંપર્કમાં ન આવતો હોવા છતાં દર્દીના રોગના નિદાનમાં નિર્ણાયક ભાગ ભજવે છે.

આખી વાર્તા એકદમ સરળ છે. કશું અણધાર્યું, અચાનક નથી બનતું. કોઈ ટ્વિસ્ટ નથી. છતાં જકડી રાખે તેવી રીતે લખાઇ છે. મેડીકલ વ્યવસાયને લગતી વાર્તા હોવા છતાં નોન-મેડીકલ લોકોને પણ સમજવામાં તકલીફ ન પડે તે રીતે ટેકનીકલ વાતો કહેવાઈ છે. વિદ્યાર્થી નર્સ વીવીઅન લોબર્ટનના પગની ઓર્થોપેડિક શસ્ત્રક્રિયાનું વર્ણન હોય કે મૃત્યુનું કારણ જાણવા શબ ઉપર કરવામાં આવતી ઓટોપ્સીનું વર્ણન હોય કે પછી નવજાત શિશુ ઉપર કરાતા બ્લડ એક્ષ્ચેન્જ ટ્રાન્સફ્યુસનનું વર્ણન હોય, બધું અદભુત ડીટેઇલીંગ સાથે સરળતાથી સમજાવ્યું છે. સમગ્ર વાર્તા દરમ્યાન તમે હોસ્પીટલમાં ફરવા હોવ એવો અનુભવ થયા વગર ના રહે. વાર્તા વાંચ્યા પછી હોસ્પિટલ અને મેડીકલને લગતા નોલેજમાં વધારો થાય એવી એજ્યુકેટીવ નોવેલ છે.


Wednesday, August 1, 2012

જુલે વર્ન ની પ્રવાસ-સાહસ કથા : મિખાઈલ સ્ટ્રગોવ

રશિયાના શાસક ઝારને બાતમી મળે છે કે તાર્તાર સરદાર ફોફર ખાનની આગેવાની હેઠળ તાર્તારો પૂર્વ રશિયાના ઈર્કુટશ્ક શહેર તરફ આગળ વધી રહ્યા છે અને ઈર્કુટશ્ક ને જીતી સમગ્ર સાઇબેરીયા પ્રદેશમાં કબજો જમાવવા માંગે છે. તેના આ કાર્યમાં તેને રશિયાનો બાગી, પૂર્વ કર્નલ ઇવાન ઓગરેવ મદદ કરી રહ્યો છે. રશિયન સૈન્યમાં કર્નલ રહી ચુકેલો હોવાથી ઇવાન રશિયાની ભૂગોળ, લશ્કર વગેરેથી સારી રીતે માહિતગાર છે અને તેની દોરવણી હેઠળ જ તાર્તારો આગળ વધી રહ્યા છે. ઇવાનની મદદથી તાર્તારો પૂર્વ અને પશ્ચિમ રશિયા વચ્ચેની ટેલીગ્રાફ લાઇન તોડી નાખે છે. ઇવાન ઈર્કુટશ્ક શહેરના ગવર્નર અને ઝારના ભાઈને જીતવા માટે એક ગુપ્ત યોજના બનાવી રહ્યો હોય છે.

આ માહિતી ઈર્કુટશ્ક શહેર પહોચાડવા ઝાર પોતાના સંદેશવાહક મિખાઈલ સ્ટ્રગોવને મોસ્કોથી મોકલે છે. મિખાઈલને રસ્તામાં નાદિયા મળે છે જે પોતાની માતાના અવસાન બાદ પોતાના પિતા પાસે ઈર્કુટશ્ક જતી હોય છે. બંને સાથે મળીને સાઇબેરીયા તરફ આગળ વધે છે. માર્ગમાં તેઓ ટ્રેન, સ્ટીમર, ઘોડાગાડી, ઘોડો, પગપાળા, તરાપો વગેરે દ્વારા આગળ વધે છે. બે પત્રકારો હેરી બલાઉન્ટ અને આલ્સીડ જોલીવેટ પણ આ જ રસ્તે આગળ વધી રહ્યા હોય છે અને વચ્ચે વચ્ચે તેઓ મિખાઈલને મળતા રહે છે. માર્ગમાં તેમને ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે.

માર્ગમાં નાદિયા અને મિખાઈલ છુટા પડી જાય છે અને પહેલા નાદિયા અને પછી મિખાઈલ તાર્તારોના હાથમાં પકડાય છે. ઇવાનને ખબર પડે છે કે મિખાઈલ પોતાના વિશેનો સંદેશો ઝારના ભાઈને આપવા જઇ રહેલો સંદેશાવાહક છે. તે મિખાઈલ પાસેથી ઝારનો સંદેશો લઇ લે છે અને પોતે ઝારના સંદેશાવાહક તરીકે જવાની યોજના બનાવે છે. મિખાઈલ અને નાદિયા તક મળતા ભાગી છુટે છે અને ઈર્કુટશ્ક તરફની સફર આગળ વધારે છે. મિખાઈલ અને નાદિયા ઈર્કુટશ્ક પહોચે એ પહેલા ઇવાન ત્યાં પહોચી ઝારના ભાઈ ગવર્નરનો વિશ્વાસ જીતી લે છે અને તાર્તારો સાથેની લડાઈમાં ઝારનો માર્ગદર્શક બની જાય છે. પણ ઇવાન પોતાના ગુપ્ત પ્લાનમાં સફળ થાય એ પહેલા મિખાઈલ ત્યાં પહોચી જાય છે અને તેના પ્લાન નિષ્ફળ બનાવી દે છે. રશિયા તાર્તારો ને હરાવી ભગાડવામાં સફળ થાય છે.