Monday, August 27, 2012

ધ ફાયનલ ડાયગ્નોસીસ : આર્થર હેઈલી 

બર્લીંગટન (પેન્સીલ્વેનીયા)માં આવેલી 'થ્રી કાઉન્ટીઝ' હોસ્પિટલ, સાવ નીચી કક્ષાએ પહોચેલી હોસ્પિટલ છે. વ્યવસ્થાતંત્ર નબળું અને મેડીકલ સ્ટાન્ડર્ડ નીચલા સ્તરે પહોચી ગયું છે. હોસ્પિટલ ઇન્ટર્નો અને રેસીડેન્ટનો ટ્રેઈનીંગ પ્રોગ્રામ નકામો થઇ ગયો છે. રીસર્ચ માટે કોઈ બજેટ ફાળવતું નથી.

હોસ્પિટલ બોર્ડના ઉમરલાયક, વૃદ્ધ ચેરમેનનું અવસાન થતા નવા ચેરમેન તરીકે ઓર્ડેન બ્રાઉનની નિમણુક કરવામાં આવે છે. ઓર્ડેન બ્રાઉન હોસ્પિટલનું સ્તર ઉપર લાવવા માંગે છે. તે માટે હોસ્પિટલમાં મોટા પાયે બદલાવ કરવાની જરૂર તેને લાગે છે. બોર્ડના જુના અને નિષ્ક્રિય સભ્યો દ્વારા તેને વિરોધનો સામનો પણ કરવો પડે છે. આવા જુના સભ્યોને દુર પણ કરી શકાય એમ નથી કેમ કે તેમની વસિયતમાં હોસ્પીટલના નામે મોટી રકમ લખાયેલી હોય છે, જેની હોસ્પિટલને ઘણી જરૂર હોય છે. યુસ્ટેસ સ્ટેઇન આવો જ એક ધનવાન બોર્ડ મેમ્બેર છે.

ઓર્ડેન બ્રાઉન, કેન્ટ ઓ'ડેનેલને હોસ્પિટલ મેડીકલ બોર્ડના પ્રેસિડેન્ટ અને સર્જરી વિભાગના વડા તરીકેનો હોદ્દો સ્વીકારવા ઓફર કરે છે, જેને યુવાન, ઉત્સાહી અને કાર્યદક્ષ કેન્ટ એક ચેલેન્જ તરીકે સ્વીકારી લે છે.

પછી શરુ થાય છે હોસ્પીટલના માળખામાં ધરમૂળથી ફેરફાર કરવાની પ્રક્રિયા. ધીમે ધીમે દરેક વિભાગના જુનવાણી અને બિનકાર્યક્ષમ લોકોને બદલે નવા કાર્યક્ષમ લોકો આવતા જાય છે અને હોસ્પિટલ ફરી ગુમાવેલી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરતી જાય છે.

પણ હજુ પણ એક વિભાગ એવો છે જેની કાર્યક્ષમતા પુરતી નથી અને તેની કાર્યપ્રણાલીમાં પરિવર્તનની જરૂર છે. તે વિભાગ છે પેથોલોજી. પેથોલોજી વિભાગના વડા (ડીરેક્ટર ઓફ પેથોલોજી) ડો. જોસેફ પીઅરસન જુનવાણી વિચારધારા ધરાવતા પ્રૌદ્ધ વ્યક્તિ છે અને આધુનિક ટેકનોલોજીના બદલે વર્ષો જૂની ટેકનોલોજીમાં જ વધારે વિશ્વાસ ધરાવે છે. તેમનું માનવું છે કે નવી નવી શોધ તો થતી જ રહેશે, તે બધી શોધોને આપણે અમલમાં મુકીશું તો રોજ નવા બદલાવ કરવા પડશે, અને બધી નવી શોધો ઉત્તમ જ છે એવું પણ માની શકાય એમ નથી કેમ કે બધી નવી શોધોની પૂરી રીતે ચકાસણી શક્ય પણ નથી. જો પીઅરસન વર્ષોના અનુભવી છે અને એમનું નિદાન પણ ચોક્કસ હોય છે, વળી તે બોર્ડ મેમ્બર યુસ્ટેસ સ્ટેઇનના ખાસ મિત્ર પણ છે. આથી જ તેમના વિરુદ્ધ કોઈ પગલા લેતા પહેલા ખુબ સાવધાની રાખવી જરૂરી છે. છતાં પણ હોસ્પીટલના બીજા વિભાગો તરફથી, પેથોલોજી વિભાગ દ્વારા અપાતા રીપોર્ટમાં થતા લાંબા વિલંબની ફરિયાદ અવગણી શકાય એમ નથી. કેન્ટ ઈચ્છે છે કે પેથોલોજીમાં જો પીઅરસનને એક સહાયક (આસીસ્ટંટ  પેથોલોજીસ્ટ) આપવામાં આવે જે પીઅરસનના કામને વહેચી લે, પણ પીઅરસન તેને પોતાની એકહથ્થુ સત્તામાં કાપ તરીકે જુવે છે.

જોસેફ પીઅરસન, ડીરેક્ટર ઓફ પેથોલોજી, જૂની કાર્યપદ્ધતિને છોડી ન શકતા અને આધુનિક ટેકનોલોજીને સ્વીકારી ન શકતા એક ઉમરલાયક વ્યક્તિ હોવા છતાં પોતાની ભૂલ હોય અથવા નિદાનને લગતો કોઈ સાચો અભિપ્રાય કોઈ અન્ય દ્વારા અપાય તો તે સ્વીકારવાની ખેલદિલી ધરાવતા એક અનુભવી ડોક્ટર છે. તેમનું અનુભવ આધારિત નિદાન એકદમ સચોટ હોય છે. પરંતુ બદલાતા સમય સાથે કદમ મેળવી નથી શકતા.

તેમના હાથ નીચે પેથોલોજી રેસીડેન્ટ ડો. રોજર મેકનીલ અને સર્જીકલ રેસીડેન્ટ માઇક સીડોન્સ, તેમને તેમના કાર્યમાં સહાય કરતા હોય છે. સીનીયર લેબ ટેક્નીશીયન કાર્લ બેનિસ્તર ટીપીકલ સરકારી નોકરિયાત જેવો છે. કોઈ ડીગ્રી ન ધરાવતો અને માત્ર અનુભવના લીધે આ પદ પર હોવાથી તેનું ટેકનીકલ જ્ઞાન અપૂરતું અને ઉપરછલ્લું હોય છે. પરિવર્તનના ભાગરૂપે જ્હોન એલેઝાંડરની લેબ ટેક્નીશીયન તરીકે અને ડો. ડેવિડ કોલમેનની આસીસ્ટંટ પેથોલોજીસ્ટ તરીકે નિમણુંક પછી બંને દ્વારા આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી નિદાન ઝડપી અને સચોટ બનાવવાની તરફેણ થાય છે અને જો પીઅરસન સાથે ટકરાવ પણ શરુ થાય છે.

બ્લડ ટેસ્ટને લગતી આધુનિક ટેકનોલોજીના વિરોધના લીધે લેબ ટેક્નીશીયન જ્હોન એલેઝાંડરની પત્ની એલીઝાબેથના બ્લડ ટેસ્ટમાં ગંભીર ક્ષતિ રહી જવાથી તેમના નવજાત બાળકના રોગનું સમયસર નિદાન થઇ શકતું નથી. બ્લડ ટેસ્ટ ફરીથી કરાતા તે પોઝીટીવ આવે છે અને જો પીઅરસન આ ગંભીર ભૂલ માટે જવાબદાર ઠરે છે. સામે પક્ષે હોસ્પીટલની કેન્ટીન દ્વારા દુષિત ખોરાકના લીધે ફેલાઈ રહેલા ટાઇફોઈડને કાબુમાં લેવા ટાઇફોઈડના વાહકને શોધવાની જરૂર ઉભી થાય છે. જો પીઅરસન અને તેમનો સ્ટાફ રાત દિવસ એક કરી બધા હોસ્પિટલ સ્ટાફના ટેસ્ટ કરી ટાઇફોઈડના વાહકને ગણતરીના દિવસોમાં શોધી કાઢે છે, જે તેમના પરિશ્રમનું જમા પાસું છે. નર્સ વીવીઅનના સચોટ નિદાનમાં પણ તેમનું જ યોગદાન હોય છે.

અંતે જોસેફ પીઅરસન રાજીનામું આપીને નવા આવેલા કોલમેન માટે જગ્યા કરી આપે છે અને યુસ્ટેસ સ્ટેઇનને હોસ્પિટલમાં ગરીબ વિદ્યાર્થી માટે સ્કોલરશીપ શરુ કરવા આગ્રહ કરે છે, યુસ્ટેસ સ્ટેઇન તે માટે બજેટ પૂરું પડે છે અને તે સ્કોલરશીપ સાથે જોસેફ પીઅરસનનું નામ જોડવાનું સુચન કરે છે, જેને કેન્ટ સહર્ષ સ્વીકારી લે છે.

આખી વાર્તા એક હોસ્પિટલ પોલીટીક્સ છે જેમાં કેન્દ્ર સ્થાને પેથોલોજી વિભાગ છે. પેથોલોજી એક એવો વિભાગ છે જે દર્દીના પ્રત્યક્ષ સંપર્કમાં ન આવતો હોવા છતાં દર્દીના રોગના નિદાનમાં નિર્ણાયક ભાગ ભજવે છે.

આખી વાર્તા એકદમ સરળ છે. કશું અણધાર્યું, અચાનક નથી બનતું. કોઈ ટ્વિસ્ટ નથી. છતાં જકડી રાખે તેવી રીતે લખાઇ છે. મેડીકલ વ્યવસાયને લગતી વાર્તા હોવા છતાં નોન-મેડીકલ લોકોને પણ સમજવામાં તકલીફ ન પડે તે રીતે ટેકનીકલ વાતો કહેવાઈ છે. વિદ્યાર્થી નર્સ વીવીઅન લોબર્ટનના પગની ઓર્થોપેડિક શસ્ત્રક્રિયાનું વર્ણન હોય કે મૃત્યુનું કારણ જાણવા શબ ઉપર કરવામાં આવતી ઓટોપ્સીનું વર્ણન હોય કે પછી નવજાત શિશુ ઉપર કરાતા બ્લડ એક્ષ્ચેન્જ ટ્રાન્સફ્યુસનનું વર્ણન હોય, બધું અદભુત ડીટેઇલીંગ સાથે સરળતાથી સમજાવ્યું છે. સમગ્ર વાર્તા દરમ્યાન તમે હોસ્પીટલમાં ફરવા હોવ એવો અનુભવ થયા વગર ના રહે. વાર્તા વાંચ્યા પછી હોસ્પિટલ અને મેડીકલને લગતા નોલેજમાં વધારો થાય એવી એજ્યુકેટીવ નોવેલ છે.


No comments:

Post a Comment